કેરળ સરકારે રવિવારે એવા અહેવાલોની સખત નિંદા કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલીક ખાનગી શાળા સંચાલકોએ નાતાલની ઉજવણી પર નિયંત્રણો લાદ્યા છે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ પાસેથી એકત્ર કરાયેલા નાણાં પરત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે એવી ચેતવણી પણ આપી હતી કે શાળાઓને સાંપ્રદાયિક પ્રયોગશાળાઓમાં ફેરવવા દેવામાં આવશે નહીં. CPI(M)ના મુખપત્ર દેશાભિમાનીએ એક સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંઘ પરિવાર દ્વારા સંચાલિત કેટલીક શાળાઓ અને હિંદુ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત ખાનગી શાળાઓએ નાતાલની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ઉક્ત સ્કૂલ મેનેજમેન્ટે આ વાતને નકારી કાઢી છે.
સરકારે કહ્યું કે કેરળ જેવા રાજ્યમાં આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી, જ્યાં લોકતાંત્રિક ચેતનાનું સ્તર ઊંચું છે. ધર્મનિરપેક્ષ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. તેમણે કહ્યું કે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના જનરલ એજ્યુકેશન મિનિસ્ટર વી. શિવનકુટ્ટીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘કેરળની શિક્ષણ સંસ્થાઓમાં ધર્મ કે આસ્થાના આધારે લોકોને વિભાજિત કરવાના ઉત્તર ભારતીય મોડલને કોઈને લાગુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.’ તેમણે કહ્યું કે શાળાઓ એવી જગ્યા છે જ્યાં બાળકો જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના સાથે મળીને શીખે છે અને વિકાસ કરે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓમાં વિભાજનકારી વિચારો ફેલાવવાનો કોઈપણ પ્રયાસ અસ્વીકાર્ય છે.
તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા સૂચના
મંત્રીએ કહ્યું કે અધિકારીઓને આ મામલાની તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે. જ્યારે આરએસએસના એક કાર્યકર્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની જાણકારી મુજબ આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું, ‘આવો નિર્ણય લેવાની કોઈ શક્યતા નથી. અમે કોઈપણ પ્રકારની સાંસ્કૃતિક ઉજવણીના વિરોધમાં નથી. દરમિયાન હિન્દુ મેનેજમેન્ટ સ્કૂલના અધિકારીઓએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમની સંસ્થામાં ક્રિસમસની ઉજવણી પર કોઈ પ્રતિબંધ નથી. મેનેજમેન્ટે કહ્યું, ‘ફૂડ પોઈઝનિંગના ભયને ધ્યાનમાં રાખીને તહેવાર દરમિયાન કેક કાપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ નાતાલની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

