ગયા વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા નેતાઓમાંના એક શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ દેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ બની છે જેના કારણે દેશભરમાં તણાવ વધી ગયો છે. દેખાવકારોએ બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી, જે પહેલાથી જ તોડી પાડવામાં આવી હતી. સાથે જ દેશના અનેક અખબારોની ઓફિસોને પણ નિશાન બનાવવામાં આવી છે. વિરોધકર્તાઓના એક જૂથે રાજધાનીના કારવાં બજારમાં શાહબાગ ચારરસ્તા પાસે સ્થિત બંગાળી અખબાર ‘પ્રથમ આલો’ અને નજીકના ‘ડેઈલી સ્ટાર’ અખબારની ઓફિસ પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર, ટોળાએ અનેક માળની તોડફોડ કરી અને બિલ્ડિંગના આગળના ભાગમાં આગ લગાવી દીધી. આ દરમિયાન પત્રકારો અને અખબારના કર્મચારીઓ બિલ્ડિંગની અંદર ફસાયેલા રહ્યા.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, “સેંકડો વિરોધીઓ લગભગ 11 વાગ્યે ‘પ્રથમ આલો’ની ઓફિસે પહોંચ્યા હતા અને બાદમાં બિલ્ડિંગને ઘેરી લીધું હતું.” તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓએ ‘પ્રથમ આલો’ની ઇમારતમાં તોડફોડ કર્યા બાદ ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન અન્ય એક પત્રકારે જણાવ્યું કે કેવી રીતે બાંગ્લાદેશમાં પત્રકારોને નિશાન બનાવવામાં આવે છે અને સરકારની ટીકા કરનારાઓની બળજબરીથી ધરપકડ કરવામાં આવે છે.
પત્રકારે સાચું કહ્યું?
ઢાકાના એક પત્રકારે દેશમાં ન્યૂઝ18ને જણાવ્યું કે જો કોઈ સરકારની ટીકા કરે છે તો તેની ધરપકડ કરવામાં આવે છે. તેણે આગળ કહ્યું, “મારી ઓફિસ ડેઈલી સ્ટારની સામે છે. અહીં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસ રસ્તાઓ પર છે. ખુલનામાં એક પત્રકારને લોકોએ ગોળી મારી હતી.”
તેમણે વધુમાં કહ્યું, “બાંગ્લાદેશમાં પત્રકારોની ધરપકડ કરવામાં આવી રહી છે. હકીકતમાં, જુલાઈના વિરોધ પ્રદર્શનને સમર્થન આપનારાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.” “જો તમે સરકારની ટીકા કરો છો, તો કાં તો સરકાર તમને નિશાન બનાવશે અથવા વિરોધીઓ તમને છોડશે નહીં,” તેમણે કહ્યું.
બાંગ્લાદેશમાં અશાંતિ
આ પહેલા હાદીના મોતના સમાચાર સામે આવતાની સાથે જ દેશમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે હાદી દેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર હતો અને ગયા અઠવાડિયે ઢાકાના વિજયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતી વખતે માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ તેને માથામાં ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા પછી, હાદીની સ્થિતિને ઢાકાના ડોકટરોએ અત્યંત નાજુક ગણાવી હતી, ત્યારબાદ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે સોમવારે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા સારી સારવાર માટે સિંગાપુર મોકલ્યો હતો.

