મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)ના ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ રહ્યા હોવાની અટકળોને કારણે પવાર છાવણીમાં અસ્વસ્થતા વધી છે. સોલાપુર જિલ્લામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે, પાર્ટીએ મંગળવારે પાર્ટીના નેતા અને રાજ્યના કૃષિ પ્રધાન દત્તાત્રેય ભરણેને જિલ્લાના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરવા અને તેમને પાર્ટીમાં રહેવા માટે સમજાવવા મોકલ્યા છે.
તાજેતરમાં, એનસીપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજન પાટીલ, પૂર્વ ધારાસભ્ય યશવંત માને અને માધાના ધારાસભ્ય બબનરાવ શિંદેના પુત્ર રણજીતસિંહ શિંદે મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ મીટીંગની એક તસવીર વાયરલ થયા બાદ અફવા ફેલાઈ છે કે ત્રણેય ભાજપમાં જોડાવાના છે. પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા, શિવસેના (ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે આ સંદર્ભમાં મંત્રી દત્તાત્રેય ભરણેની સોલાપુરની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
દરમિયાન, સોલાપુર જિલ્લાના પાલક મંત્રી અને ભાજપના નેતા જયકુમાર ગોરે પત્રકારોને જણાવ્યું હતું કે ‘ઓપરેશન લોટસ’ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ જિલ્લામાં દિવાળીના ફટાકડા વાગવા લાગશે. મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ પક્ષપલટા ભાજપની રણનીતિનો એક ભાગ છે.

