સુરત સમાચાર: સુરતના લિંબાયતના જવાહરનગરમાં પરિવાર સૂતો હતો ત્યારે તસ્કરોએ પાછળના રૂમની સ્લાઈડિંગ બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી 2.61 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે મકાન માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ચંદ્રકાંતભાઈ છનાભાઈ પટેલ (ઉંમર 32) તેમના પરિવાર સાથે જવાહરનગર, લિંબાયત, સુરત ખાતે રહે છે. અને આરોગ્ય કાર્યકર તરીકે કામ કરે છે. ઘરની સ્લાઈડિંગ બારી તાજી હવા માટે ખુલ્લી રાખી દરવાજો બંધ કરી પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. પાછળના રૂમની સ્લાઈડિંગ બારીમાંથી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલી તિજોરીના લોકરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 1000 મળી કુલ રૂપિયા 2.61 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
તે જાણીને ચોંકી ગયો કે ઘરમાં ચોરી થઈ છે. આ અંગે તેમણે લિંબાયત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ આ મામલે લિંબાયત પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.