વડોદરા.
વડોદરા નજીક દુમાડ-વિરોડ રોડ પરથી રવિવારે દશરથ ગામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે મંજુસર પોલીસે વિરોદ ગામના બે યુવકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દશરથ ગામનો કેયુર જોષી નામનો યુવક દહેજ માટે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જે અવારનવાર દશરથના ગામમાં તેના પરિવારને મળવા આવતો હતો. કેયુર 17 જૂને પણ દશરથના ઘરે આવ્યો હતો. જે બાદ બીજા દિવસે 18 જૂનના રોજ તે અમદાવાદમાં રહેતા તેના મંગેતરને મળવા દુમાડ ચોકડી પાસે શટલ કારની રાહ જોઈ રહ્યો હતો.
દરમિયાન દુમાડ ચોકડી પાસે ઇકો કારમાં આવેલા બે શખ્સોએ લૂંટના ઇરાદે કેયુરને પોતાની કારમાં બેસાડી દીધો હતો. જે બાદ રસ્તામાં તેની પાસેથી 700 રૂપિયા અને ઘડિયાળ લૂંટી લેવામાં આવી હતી. જોકે, પોલીસના ડરથી લૂંટારાઓએ કેયુર જોષીની ગળું દબાવી હત્યા કરી હતી અને તેની લાશ દુમાડ અને વિરોડ ગામ વચ્ચે ફેંકી દીધી હતી. આટલું જ નહીં મૃતદેહની ઓળખ ન થાય તે માટે મોઢું પથ્થરથી ભોંકીને ભાગી ગયો હતો.
આ મામલે મંજુસર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવા તપાસ શરૂ કરી છે. જેમાં મંજુસર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવીને થોડા જ કલાકોમાં કેયુર જોષીના હત્યારાઓને પકડી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં હત્યારાઓની ઓળખ સચિન ઠક્કર અને શુભમ કદમ (બંને વિરોદ ગામ) તરીકે થઈ છે. હાલ પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર ઘટનાને ફરીથી બનાવી રહી છે.