બાંગ્લાદેશની T20 વર્લ્ડ કપ પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ રહ્યા છે. તે મક્કમ છે કે તે ભારતમાં વર્લ્ડકપની મેચ નહીં રમે, બીજી તરફ ICCએ હજુ સુધી તેની મેચો ભારતની બહાર લઈ જવાના કોઈ સંકેત આપ્યા નથી. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પ્રથમ વખત ICCને સત્તાવાર રીતે ઓફર કરી છે કે તે બાંગ્લાદેશની મેચોની યજમાની કરવા તૈયાર છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સુરક્ષા કારણોસર ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાના બાંગ્લાદેશના ઇનકારને સમર્થન આપ્યું છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને મોકલેલા પત્રમાં બાંગ્લાદેશની મેચોની યજમાની કરવાની ઓફર કરી છે.
બુધવારે ICC બોર્ડની બેઠક યોજાવાની છે જેમાં T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે.
બાંગ્લાદેશે ગ્રુપ સ્ટેજની ચારેય મેચ ભારતમાં રમવાની છે, જેમાંથી પ્રથમ ત્રણ મેચ કોલકાતામાં અને એક મુંબઈમાં રમાશે.

