ટીમ ઈન્ડિયાનો મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 14 ડિસેમ્બરે રવિવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચમાં રમ્યો નહોતો. તેની પાછળનું કારણ એ હતું કે તે અંગત કારણોસર ધર્મશાળાથી સીધા ઘરે ગયો હતો. આ કારણોસર તે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. હવે સવાલ એ છે કે શું તે શ્રેણીની બાકીની બે મેચોમાં ઉપલબ્ધ રહેશે? અત્યારે કોઈની પાસે આનો જવાબ નથી, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અથવા BCCI એ એક નિવેદનમાં કહ્યું છે કે તે બાકીની શ્રેણી માટે તેની ઉપલબ્ધતા વિશે ‘યોગ્ય સમયે’ અપડેટ આપશે.
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચમાં ટોસ બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ અંગત કારણોસર ટીમની બહાર છે. થોડા સમય પછી માહિતી આપતાં BCCIએ કહ્યું હતું કે, “જસપ્રીત બુમરાહ અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યો છે અને તે રમત માટે ઉપલબ્ધ રહેશે નહીં. બાકીની મેચો માટે ટીમમાં તેના સમાવેશ અંગેના અપડેટ યોગ્ય સમયે આપવામાં આવશે.” આનાથી સ્પષ્ટ છે કે કદાચ ભવિષ્યની મેચોમાં પણ તેની ઉપલબ્ધતા અંગે શંકા ઉભી થશે.
પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી મેચ 17 ડિસેમ્બરે લખનૌમાં છે જ્યારે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં છે. જો તેમને થોડો વધુ સમય જોઈતો હોય તો તેઓ લખનૌ મેચ ચૂકી શકે છે અને તેમના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમી શકે છે. જોકે, બીસીસીઆઈ કે જસપ્રિત બુમરાહે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા
ધર્મશાલા ટી20 મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવા પડ્યા. જસપ્રીત બુમરાહ ઉપરાંત અક્ષર પટેલની પણ તબિયત સારી ન હોવાથી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેમના સ્થાને હર્ષિત રાણા અને કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. બુમરાહના સ્થાને આવેલા હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી, જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે પણ બે વિકેટ ઝડપી. હર્ષિતે પહેલી જ ઓવરમાં સફળતા મેળવી હતી અને કુલ બે વિકેટ મેળવી હતી.

