ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં સામાન્ય અને VIP ભક્તો વચ્ચેના ભેદભાવને સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદાર દર્પણ અવસ્થીએ માંગણી કરી હતી કે તમામ ભક્તોને કોઈપણ ભેદભાવ વિના ગર્ભગૃહમાં દર્શન અને પૂજાની સમાન તક મળવી જોઈએ. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે અરજી પર સુનાવણી દરમિયાન આકરી ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે આવા અરજદારો સાચા ભક્ત નથી અને કોર્ટ મંદિરની નીતિઓ અથવા માર્ગદર્શિકા પર નિર્ણય લઈ શકે નહીં.
ચીફ જસ્ટિસે મૌખિક રીતે કહ્યું, ‘તેઓ ભક્ત નથી. અમે આ અંગે વધુ ટિપ્પણી કરવા માંગતા નથી. આ લોકો વિવિધ હેતુઓ સાથે આવે છે. કોર્ટ નક્કી કરતી નથી કે શું થવું જોઈએ કે શું નહીં. અમારી ભૂમિકા ન્યાયની છે. અરજીની સુનાવણી દરમિયાન અરજદારના વકીલની દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે તેને સદંતર ફગાવી દીધી હતી.
શું હતો અરજદારનો દાવો
કોર્ટે અરજદારને સરકારી સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાની મંજૂરી આપી છે. આ કેસમાં અરજદારે દાવો કર્યો હતો કે 2023થી મંદિર પ્રશાસને જલાભિષેક અને પૂજા માટે ગર્ભગૃહમાં સામાન્ય ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે VIP, રાજકારણીઓ, અધિકારીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓને વિશેષ પરવાનગી આપવામાં આવે છે. જેના કારણે સામાન્ય ભક્તોને બહારગામથી દર્શન કરવા પડે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવી વ્યવસ્થા મંદિર સમિતિ અથવા રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે, કોર્ટની નહીં. બેંચમાં જસ્ટિસ આર મહાદેવન અને જસ્ટિસ જોયમલય બાગચી પણ સામેલ હતા.

