સહકારી જગતની મહત્વની સંસ્થા રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાને ફરી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે અરજણ રૈયાણીની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી દરમિયાન તમામ ડીરેકટરો, પ્રાંત હોદ્દેદારો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા મેન્ડેટ લઈને રાજકોટ પહોંચ્યા હતા. ચૂંટણી દરમિયાન ભાજપના બે જૂથો વચ્ચે પ્રમુખ પદ માટે જોરદાર જંગ જામ્યો હતો. પ્રમુખ પદ માટે પૂર્વ મંત્રીઓ અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચાનો જુથ સક્રિય હતો. બે જૂથો વચ્ચેની ખેંચતાણ વચ્ચે નરેન્દ્રસિંહ જાડેજાને ફરી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અરજણ રૈયાણીને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે અગાઉ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, પરંતુ તેની છેલ્લી તારીખ 2 મે નક્કી કરવામાં આવી છે. ચૂંટણીને લઈને સ્થાનિકથી લઈને ગાંધીનગર સુધી બેઠકો યોજાઈ હતી. હાઈકમાન્ડ પણ ગાંધીનગરથી સતત હિલચાલ પર નજર રાખી રહ્યું હતું. આ ચૂંટણીને લઈને સહકારી જગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અટકળો અને ચર્ચાઓ વચ્ચે દરેક વ્યક્તિ પાર્ટીના જનાદેશ તરફ આગળ વધી રહી હતી.