અમદાવાદ: સતત બદલાતા વાતાવરણને કારણે રાજ્યના વિવિધ શહેરોમાં ગરમી પડી રહી છે. આ ઉપરાંત ગરમીના કારણે લોકોમાં ઝાડા-ઉલ્ટી અને ચક્કર જેવા રોગો પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં રેકોર્ડબ્રેક 3230 લોકો ગરમીની બિમારીના કારણે હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. તેમજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન મહુવા શહેરમાં નોંધાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન મંગળવારે 41 ડિગ્રીને પાર કરી 41.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. તેમજ વધતી ગરમીના કારણે અમદાવાદ કોર્પોરેશને શહેરમાં બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે બુધવાર અને ગુરુવારે તાપમાન 41 થી 43 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. મંગળવારનું 41.3 ડિગ્રી તાપમાન આ સિઝનનું બીજું સૌથી વધુ તાપમાન હતું.
વધતી ગરમીના કારણે શહેરમાં બિમારીઓએ પણ જોર પકડ્યું છે. તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર અમદાવાદમાં જ 15 દિવસમાં 3230 લોકો હીટ વેવથી પ્રભાવિત થયા છે. ગરમી સંબંધિત બીમારીથી દરરોજ સરેરાશ 200 લોકો મૃત્યુ પામે છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં 48 હજારથી વધુ ORS ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
બીજી તરફ વધતા વિકાસને કારણે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કારણ કે શહેરોમાં ડામરના રસ્તાઓ, વાહનોના ધુમાડા, મોટી સંખ્યામાં એસી ચાલતા અને કાચની દીવાલોવાળી અસંખ્ય બિલ્ડીંગોને કારણે ગરમી જરૂર કરતાં વધુ અનુભવાય છે.
તેમજ મંગળવારે સવારથી વાદળછાયા વાતાવરણને કારણે ગરમી વધવા લાગી હતી. અમદાવાદ સહિત રાજ્યના 13 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. મહુવામાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અગાઉ 15 એપ્રિલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ બાદ 16 એપ્રિલથી ફરી એકવાર તાપમાનમાં વધારો થયો હતો. જે આગામી 3-4 દિવસ સુધી સતત વધવાની શક્યતા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ 3-4 દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. એટલું જ નહીં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.