અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે અને માત્ર પાંચ દિવસમાં ત્રણ હત્યાના ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. આજે ત્રીજા હત્યાના બનાવમાં અમરેલી તાલુકાના ખીજડીયા ગામે આધેડ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પતિ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. મહિલાની હત્યા પાછળનું કારણ પોલીસ તપાસ કરી રહી છે.
પ્રાથમિક ચર્ચા મુજબ પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઝેર ગળ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી નજીકના ખીજડીયા ગામમાં મહિલાની હત્યા થયાની બાતમી મળતા આજે બપોરે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં મહિલાની લાશનું પી.એમ. અર્થે અમરેલી દવાખાને ખસેડાયા હતા. જ્યારે મહિલાના પતિ ગોવિંદભાઈ દવેરાએ ઝેરી દવા ગળી લેતા બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતક આધેડ મહિલા ગંગાબેન ગોવિંદભાઈ ડાવેરાની ક્યા કારણોસર હત્યા કરવામાં આવી? પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતક મહિલાનો પતિ ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો જેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેર ગળી લીધું હતું. ત્યારે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. ડીએસપી ભંડારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગત રાત્રે મહિલાની હત્યા કરવામાં આવી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય બહાર આવશે.