શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની નવીનતમ તસવીરો શેર કરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં બિલ્ડિંગની બારી-બારણાનું કામ પૂર્ણ થઈ જશે.
રામ મંદિરની જે તાજેતરની તસવીરો જાહેર કરવામાં આવી છે તેમાં જોઈ શકાય છે કે મંદિરની દિવાલો પર સુંદર કોતરણી કરવામાં આવી રહી છે. મંદિરના કોરિડોરમાં રહેલી કલાકૃતિઓ પણ અનોખી છે.
રામ મંદિરમાં જે રીતે કોતરણી અને કલાકૃતિઓ કોતરવામાં આવી રહી છે તે દર્શાવે છે કે રામલલાનું મંદિર કેટલું ભવ્ય બની રહ્યું છે.
મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું કામ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં શ્રી રામ મંદિરના નિર્માણની સમીક્ષા કરવામાં આવી રહી છે. પથ્થરો પર કોતરણીનું કામ પણ સતત ચાલી રહ્યું છે.
રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં સોનાનું ફિનિશિંગ કરવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ અધિકારીઓ રોજેરોજ આ કામ પર નજર રાખી રહ્યા છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં કુલ 392 સ્તંભ હશે. મંદિરના દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે અને મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ, 2020ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે જાન્યુઆરી 2024થી રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને દર્શન પૂજા શરૂ કરવામાં આવશે.