ગાંધીનગરઃ ભારતને વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત આજે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તો અગ્રેસર બની જ રહ્યું છે, સાથે જ ગુજરાત કૃષિ ઉદ્યોગ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. છેલ્લા બે દશકમાં ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી છે. હવે સમય કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને માર્કેટિંગનો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રની કાયાપલટ થશે. રાજ્યના વિકાસમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આટલું જ નહીં, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડવા માટે પણ સક્ષમ છે. હાલમાં ભારતના એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના નિકાસમાં ગુજરાત અગ્રેસર છે.
કૃષિ મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતના કૃષિ ઉત્પાદનો વિવિધતાનો ભંડાર છે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકોમાં મૂલ્યવર્ધનની સંભાવનાઓ પુષ્કળ છે. પાકનું મૂલ્યવર્ધન અને માર્કેટિંગ કરી તેને વેચવામાં આવે અથવા નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ ઉપરાંત નવી રોજગારીનું પણ સર્જન થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનથી આ દિશામાં આગળ વધતા ગુજરાત સરકાર હવે ખેડૂતો સાથે કૃષિ ઉદ્યોગોને પણ પ્રાધાન્ય આપશે.
સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (2016-2021) અંતર્ગત ગુજરાતના એગ્રો ફૂડ પ્રોસેસિંગ કરતા 490થી વધુ એકમોને રાજ્ય સરકાર દ્વારા મૂડી રોકાણ તથા બેંક લોન પર વ્યાજ સહાય પેટે રૂ. 327 કરોડની નાણાકિય સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં કૃષિ પ્રોસેસિંગના એકમોની સ્થાપના થવાથી ગુજરાતની ખેત-પેદાશોમાં મૂલ્ય-વર્ધનની તકોમાં અભૂતપૂર્વ વધારો થયો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.