અમદાવાદઃ દેશમાં ગુજરાત અને પંજાબ એવા બે રાજ્યો છે. કે જ્યાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જતા હોય છે. ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જનારા સ્ટુડન્ટની સંખ્યા સતત વધતી જાય છે, ત્યારે કેનેડાએ ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓના વિઝા માટે નાણાકિય ક્ષમતામાં ડબલ વધારો કરી દીધો છે. આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ કેનેડા આવી જ ન શકે તે માટે કોસ્ટ-ઓફ-લિવિંગના માપદંડમાં વધારો કરાયો છે. તેથી હવે નાણાકીય રીતે સદ્ધર વિદ્યાર્થીઓને જ કેનેડા આવવાની તક મળશે.હવે હાયર એજ્યુકેશન માટે કેનેડા જવાનું મોંઘું પડશે. કેનેડાની સ્ટડી પરમિટ મેળવવા માટે જાન્યુઆરી 2024થી કોસ્ટ-ઓફ-લિવિંગની જરૂરિયાત માટે ડબલ રકમ રાખવી પડશે.
સૂત્રોના કહેવા મુજબ કેનેડામાં ઘણાબધા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ નાણાકીય રીતે નબળા હોવા છતાં ભણવા આવતા હોય છે. અને ખર્ચને પહોંચી વળવા માટે ભણવાના બદલે નોકરી શોધવા લાગે છે. તેના કારણે કેનેડાએ સ્ટડી પરમિટની રિક્વાયરમેન્ટ માટે નાણાકીય સદ્ધરતાની ડિમાન્ડ વધારી દીધી છે. આ ફેરફાર 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પાસે વધારે રૂપિયા છે એવું દેખાડવું પડશે.
અત્યાર સુધી કોસ્ટ-ઓફ લિવિંગની રિક્વાયરમેન્ટ હેઠળ સ્ટુડન્ટે પોતાની પાસે 10000 અમેરિકન ડોલર એટલે કે લગભગ 8.30 લાખ રૂપિયા હોવાનું દેખાડવું પડતું હતું. છેલ્લા 20 વર્ષથી આ રકમ વધારવામાં આવી ન હતી. હવે આ રકમ વધારીને 20,635 ડોલર કરવામાં આવી છે. એટલે કે સિંગલ એપ્લિકેશન માટે 17.12 લાખ રૂપિયાની જરૂર પડશે. કેનેડામાં મોંઘવારી વધવાની સાથે ખર્ચ જે રીતે વધી ગયો છે તેથી આટલી રકમની ડિમાન્ડ જરૂરી હોવાનું માનવામાં આવે છે. કેનેડામાં ભણવા આવ્યા પછી ખર્ચ ઉઠાવવા માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પહેલેથી સજ્જ રહે તે માટે આ રકમ વધારવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કેનેડામાં આવતા ઘણા વિદ્યાર્થીઓને હાઉસ રેન્ટ પરવડતો નથી. કારણ કે કેનેડામાં મકાનોના ભાવમાં વધારો થતાં સાથે હાઉસ રેન્ટમાં પણ વધારો થયો છે. અને ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાર્થીઓ ભણવાને બદલે નોકરી પર વધુ ધ્યાન આપતા હોય છે. કેનેડિયન ઓથોરિટીનું કહેવું છે કે અહીં આવ્યા પછી સ્ટુડન્ટ નાણાકીય ભીંસમાં ન મૂકાય તે માટે કોસ્ટ-ઓફ-લિવિંગની જરૂરિયાત વધારવામાં આવી છે. આ સુધારા જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. આ એક પાઈલટ પ્રોજેક્ટ છે અને તેને કેવો પ્રતિભાવ મળે છે તેના આધારે બીજા સુધારા કરવામાં આવશે.
આ ઉપરાંત કોઈ પણ કેનેડાની કોઈ કોલેજ અથવા યુનિવર્સિટી મનફાવે તેટલા સ્ટુડન્ટને એડમિશન નહીં આપી શકે. યુનિવર્સિટીઓને જણાવી દેવાયું છે કે તેઓ જેટલા સ્ટુડન્ટને સપોર્ટ કરી શકવાની તૈયારીમાં હોય તેટલા સ્ટુડન્ટને જ એડમિશન આપી શકશે. કેનેડા સરકારનું કહેવું છે કે વિદેશી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે તેના કારણે કેનેડાને સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ફાયદો થાય છે. પરંતુ ઘણી વખત સ્ટુડન્ટ અહીંના ઉંચા ખર્ચને પહોંચી ન વળે ત્યારે તેઓ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. તેથી જીવનખર્ચ માટેની રકમ ડબલ કરવામાં આવી છે. કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે કેટલીક કામચલાઉ પોલિસીમાં પણ સુધારા કર્યા છે. દર અઠવાડિયે 20 કલાક ઓફ-કેમ્પસ કામ કરવાની જે લિમિટ હતી તેને 30 એપ્રિલ 2024 સુધી રદ કરવામાં આવી છે. તેથી વિદ્યાર્થીઓ વધારે કામ કરી શકશે.