ગાંધીનગરઃ ડૉ. હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ‘વિશાળ મહિલા સંમેલન-નારાયણી સંગમ’ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમના અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિત મહિલા અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ગાંધીનગર શહેર- જિલ્લાની 1200 જેટલી બહેનો- માતાઓ સહભાગી થયા હતા.
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ નારી શક્તિને આવકારતાં કહ્યું હતું કે, નારીને નારાયણી તરીકે સંબોધવામાં આવે છે. તે જ તેનું સૌનું મોટું સન્માન છે.આ માત્ર નારાયણી જ નહીં પણ દેવી શક્તિનો સંગમ છે. દેશનો સંપૂર્ણ વિકાસ થાય અને આ દિશામાં દેશ વધુને આગળ વધે તે માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલાઓ પરિવાર અને સમાજનું કેન્દ્રબિંદુ છે.
મંત્રી ભાનુબેન બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહેવામાં આવે છે. જે ઘરમાં નારીનું માન – સન્માન સાથે આદર અપાતો હોય, તે ઘરમાં હંમેશા લક્ષ્મી વસે છે આ પરિવાર હંમેશા સુખ સંપન્ન રહે છે. વિશાળ મહિલાઓની જન મેદની જોતાં જ મારામાં નવું જોમ, નવી પ્રેરણા ઉભરી આવી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ માત્ર મહિલા સશકિતકરણ નહિ, પરંતુ રાષ્ટ્રના પુનરૂત્થાન માટે એકત્રિત થયેલી સ્ત્રી શકિત, માતૃ શકિતનો સંગમ છે. મહિલાઓને સ્વચ્છ અને ન્યાયી વાતાવરણની જરૂર છે. જ્યાં તેઓ દરેક ક્ષેત્રમાં પોતાના સ્વતંત્ર નિર્ણયો, વિચારો વ્યક્ત કરી શકે, પછી તે પોતાના માટે હોય, દેશ માટે હોય, સમાજ માટે હોય કે પરિવાર માટે હોય.
તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્ર વિકાસ માટે કાર્ય કરનાર મહાપુરુષોની જીવનકથા આપણને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. મહાપુરુષો પોતાના વ્યક્તિત્વ કે પોતાની મહત્વાકાંક્ષાઓનો ત્યાગ કરીને સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે પોતાના જીવનની આહુતિ આપતા હોય છે.