અમદાવાદ.
ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોનાના દૈનિક કેસ 100થી નીચે નોંધાયા છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 73 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન વલસાડમાં એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, આજે બહાર આવેલા નવા કેસોમાં સૌથી વધુ 22 સંક્રમિત એકલા અમદાવાદ શહેરમાંથી આવ્યા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં 9, સુરતમાં 11 અને રાજકોટ જિલ્લામાં 1 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં 3, મહેસાણા જિલ્લામાં 7, આણંદ જિલ્લામાં 4 અને અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, કચ્છ અને વલસાડ જિલ્લામાં 2-2 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આજે વધુ 179 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 12,79,205 સંક્રમિત કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.
તાજેતરની સ્થિતિ અનુસાર, રાજ્યમાં હાલમાં કોરોનાના 643 સક્રિય કેસ છે. જેમાંથી 3 દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય 640 દર્દીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.