ગાંધીનગરઃ ગુજરાતના ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં કહ્યું હતું કે, મહામાનવ પૂજ્ય ગાંધીજીના આદર્શોને જનમાનસ સુધી પહોંચાડવા એ આપણું લક્ષ્ય છે. આ મિશનને પાર પાડવા આપણે એક પરિવારની જેમ સાથે મળીને ઈમાનદારીપૂર્વક કામ કરીએ.
ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક બુધવારે રાજભવનમાં યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, હું રાજકારણી નથી, હું સામાજિક કાર્યકર છું. વર્ષોથી ગાંધીવિચારને અનુરૂપ ગુરુકુળમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય કરું છું. રાજકારણથી બહાર આવીને સહુએ ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા આણવાની આવશ્યકતા છે. શિક્ષણનું સ્તર વધુ ઊંચું લઈ જવાની જરૂર છે. પૂજ્ય ગાંધીજીના ગ્રામોત્થાનના વિચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. રાષ્ટ્ર નિર્માણના આ મહત્વના કાર્યમાં સકારાત્મકતાથી સૌના સહિયારા પ્રયાસોની આવશ્યકતા છે.
કુલપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં વિદ્યાપીઠના શૈક્ષણિક સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા, વહીવટ અને વ્યવસ્થાપનને વધુ સરળ અને સુદ્રઢ બનાવવા તથા આર્થિક બાબતોને લઈને વિવિધ 64 મુદ્દાઓ પર વિસ્તૃત અને વિગતવાર વિચાર-વિમર્શ કરાયો હતો. ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી ડૉ. હર્ષદ પટેલે તમામ મુદ્દાઓની અભ્યાસપૂર્ણ વિશદ્ છણાવટ કરીને મંડળ સમક્ષ મૂક્યા હતા. મંડળના તમામ સભ્યોએ પૂર્ણ હકારાત્મકતા સાથે ચર્ચામાં ભાગ લીધો હતો. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં અનેક સર્જનાત્મક નિર્ણયો લેવાયા હતા. આ નિર્ણયો ગૂજરાત વિદ્યાપીઠને આગામી સમયમાં નવી ઊંચાઈઓ આપશે. ચર્ચામાં ભાગ લેતાં સખાવતી-દાનવીર અને ગાંધીવાદી રાજશ્રીબેન બિરલાએ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠમાં પસંદગીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં સમયની માંગ પ્રમાણે ગુજરાતી માધ્યમની સાથે હિન્દી માધ્યમમાં પણ અભ્યાસ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.