જાન્યુઆરીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અઠવાડિયે આગામી શ્રેણી માટે ટીમની જાહેરાત કરી શકે છે. ટીમનો નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે ટીમ સાથે કેપ્ટન તરીકે જોડાશે. જો કે, સ્ટાર ક્રિકેટર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીએ પ્રથમ મેચ રમાશે.
ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની વનડે શ્રેણીમાંથી બહાર રહેલો શુભમન ગિલ હવે સંપૂર્ણ રીતે ફિટ છે. કેએલ રાહુલે તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. જોકે, શુભમન ગીલની વાપસી સાથે યશસ્વી જયસ્વાલને ફરી એકવાર તકની રાહ જોવી પડી શકે છે. યશસ્વી જયસ્વાલે અગાઉની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ મેનેજમેન્ટ ફેબ્રુઆરી 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કેટલાક ખેલાડીઓને આરામ આપવાના મૂડમાં છે. TOIના અહેવાલ મુજબ, શનિવાર (3 જાન્યુઆરી) સુધીમાં ટીમની જાહેરાત થઈ શકે છે.
ઇજાઓથી બચવા અને T20 વર્લ્ડ કપ માટે તેમને ફ્રેશ રાખવા માટે આ ખેલાડીઓને ODI શ્રેણીથી દૂર રાખવામાં આવી શકે છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી20 શ્રેણી અને વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે ફિટ રાખવાના ઈરાદાથી આ શ્રેણીમાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. હાર્દિક છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને તેણે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એકવાર વાદળી જર્સીમાં જોવા મળશે. બંને ખેલાડીઓએ તાજેતરમાં સ્થાનિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં પણ ભાગ લીધો હતો, જ્યાં દિગ્ગજોએ ઘણા રન બનાવ્યા હતા.
ઋષભ પંતના ખરાબ ફોર્મ અને ODIમાં તેના સંઘર્ષને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ઈશાન કિશનને બેકઅપ વિકેટકીપર તરીકે તક આપી શકે છે. કિશને તાજેતરમાં સ્થાનિક ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે. ઐયરની ફિટનેસ હજુ પણ એક કોયડો છે. જો તે ફિટ ન હોય તો રુતુરાજ ગાયકવાડ મિડલ ઓર્ડરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરામાં, બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. ત્રીજી વનડે 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.

