શહેરી ખેતી: કાળઝાળ ગરમીમાં ધાબાને બનાવો નંદનવન અને મેળવો ઓર્ગેનિક શાકભાજી તથા ફળ
આધુનિક ટેકનિકથી ધાબા પર ખેતી અને મળશે ઓર્ગેનિક શાકભાજી સાથે ગરમીથી મુક્તિ
વધતા જતા શહેરીકરણને કારણે ઉનાળામાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. આવા સમયે ‘ટેરેસ ગાર્ડનિંગ’ અથવા ‘શહેરી ખેતી’ એ માત્ર શોખ પૂરતો મર્યાદિત ન રહેતા, ગરમી સામે લડવાનું એક સચોટ હથિયાર સાબિત થઈ રહ્યું છે.
પોતાના ધાબા પર ગ્રીનરી જાળવી રાખવાથી ઘરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને સાથે જ તાજા, ઓર્ગેનિક શાકભાજી પણ ઉપલબ્ધ થાય છે. ગરમીના પ્રકોપ વચ્ચે પણ તમારા બગીચાને લીલોછમ રાખવા માટે કેટલીક આધુનિક પદ્ધતિઓ અને સરકારની પ્રોત્સાહક યોજનાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે.
શહેરી ખેતી એટલે શહેરની મર્યાદિત જગ્યાઓ જેવી કે ઘરની અગાશી, બાલ્કની, ઘરની પાછળનો ભાગ અથવા ખુલ્લા પ્લોટમાં શાકભાજી, ફળો કે ફૂલો ઉગાડવા. તેને ‘ટેરેસ ગાર્ડનિંગ’ કે ‘કિચન ગાર્ડનિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સૂર્યના કિરણો સીધા ધાબા પર પડે છે, ત્યારે લૂ અને ગરમીથી છોડને બચાવવા એક પડકાર હોય છે. આ માટે સૌથી અસરકારક ઉપાય ‘ગ્રીન નેટ’ (એગ્રો નેટ) છે.

આ નેટ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને ફિલ્ટર કરે છે, જેનાથી છોડને જરૂરી પ્રકાશ મળે છે પણ ગરમીની તીવ્રતા ઘટી જાય છે. આ ઉપરાંત, ઉનાળામાં ‘મલ્ચિંગ’ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. કુંડાની માટીની ઉપર સૂકા પાંદડા અથવા નાળિયેરના છોતરાનું પડ કરવાથી ભેજ લાંબો સમય ટકી રહે છે અને વારંવાર પાણી આપવાની જરૂર પડતી નથી.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા ગૃહિણી વિરલ મહેતા ઘરની અગાશી, બાલ્કનીમાં ખેતી કરી ‘અર્બન ફાર્મર’ બન્યા છે. તેઓ જણાવે છે કે શહેરી ખેતી એ આપણા જીવનમાં હરિયાળી લાવવાનો એક ઉત્તમ માર્ગ છે. શહેરી ખેતી એટલે કે તમારા ઘરની અગાશી, બાલ્કની કે આંગણાની નાની જગ્યામાં પોતાની જરૂરિયાત મુજબના શાકભાજી અને ફળો ઉગાડવા.
આ પદ્ધતિ અત્યારે ખૂબ જ લોકપ્રિય બની રહી છે કારણ કે બજારમાં મળતા શાકભાજીમાં કેમિકલ અને જંતુનાશક દવાઓનું પ્રમાણ વધારે હોય છે. જો આપણે ઘરના કુંડામાં ટામેટા, મરચાં, કોથમીર કે લીમડો ઉગાડીએ, તો આપણને એકદમ તાજું અને કેમિકલમુક્ત ભોજન મળે છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ ખેતી શરૂ કરવા માટે બહુ મોટી જમીનની જરૂર નથી, માત્ર થોડા કુંડા, સારી માટી અને સૂર્યપ્રકાશ હોય તો પણ કામ થઈ જાય છે.
રસોડાનો ભીનો કચરો જેમ કે શાકભાજીની છાલ કે ફળોના અવશેષોમાંથી આપણે ઘરે જ કુદરતી ખાતર બનાવી શકીએ છીએ, જેનાથી કચરાનો નિકાલ થાય છે અને છોડને પોષણ મળે છે. ઘરની અગાશી પર છોડ હોવાથી ઉનાળામાં ઘરનું તાપમાન પણ નીચું રહે છે અને મનને શાંતિ મળે છે. આમ, શહેરી ખેતી એ માત્ર ખોરાક મેળવવાનો રસ્તો નથી, પરંતુ પ્રકૃતિ સાથે જોડાવાનો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો એક સુંદર પ્રયાસ છે. દરેક વ્યક્તિએ નાના પાયે પણ પોતાના ઘરે આ પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ.


