અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હી દ્વારા સંયુક્ત રીતે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ “ભારતીય જ્ઞાન પરંપરા: પ્રાચીન કાળથી 21મી સદી સુધી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ” નો આજે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે ભવ્ય પ્રારંભ થયો. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, ત્યારબાદ પરિષદનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડૉ. અતુલ કોઠારીએ ભારતીય જ્ઞાન પરંપરાના મહત્વ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 (NEP-2020)માં તેના સમાવેશ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ભારતીય જ્ઞાન પરંપરા માત્ર ઐતિહાસિક વારસો નથી, પરંતુ ભવિષ્યના શિક્ષણ, સંશોધન અને નવીનતાનું મજબૂત આધારસ્તંભ છે.
ડૉ. કોઠારીએ જણાવ્યું કે યુનિવર્સિટીઓએ ભારતીય જ્ઞાન પરંપરાને શિક્ષણ અને સંશોધનના મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે. શિક્ષકો અને સંશોધકોએ ભારતીય જ્ઞાનના વિવિધ પરિમાણોને આધુનિક સંશોધન સાથે સાંકળીને સમાજલક્ષી અને ઉપયોગી સંશોધન કાર્ય હાથ ધરવું જોઈએ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓને ભારતની પ્રાચીન જ્ઞાનસંપદાનો પ્રાયોગિક અને અનુભૂતિમૂલક પરિચય કરાવવો જોઈએ જેથી તેઓ આ પ્રાચીન જ્ઞાનનું પુનઃઅન્વેષણ કરી તેની આધુનિક સમયમાં વધુ અસરકારક ઉપયોગિતા શોધી શકે.
તેમણે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન અને પ્રસાર માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી અને શિક્ષણ તથા સંશોધન દ્વારા તેના વ્યાપક પ્રસાર માટે યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.
વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝાએ ભારતના પ્રાચીન ગ્રંથોમાં રહેલા સમૃદ્ધ જ્ઞાનભંડાર અંગે વિસ્તૃત વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે વેદો, ઉપનિષદો, શાસ્ત્રો અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં રહેલા વૈજ્ઞાનિક વિચારો અને સિદ્ધાંતો આજે પણ આધુનિક વૈજ્ઞાનિક શોધો, સંશોધનો અને આવિષ્કારો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
તેમણે ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાના વૈશ્વિક મહત્વને ઉજાગર કરતાં આ જ્ઞાનને આધુનિક સંદર્ભોમાં વધુ પ્રાસંગિક બનાવવા માટે સતત અભ્યાસ અને સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે યુનિવર્સિટી દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક નવીનતાના સમન્વય માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જીટીયુ શિક્ષણ, સંશોધન, અભ્યાસક્રમ વિકાસ અને નવીનતાના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાનસંપદાને આધુનિક તકનીકી શિક્ષણ સાથે સાંકળવા માટે સતત કાર્યરત છે. યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો અને પહેલો દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાના વ્યાપક પ્રસાર અને સંવર્ધન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમના પ્રારંભે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષણવિદો, સંશોધકો તથા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
પરિષદના સંયોજક અને જીટીયુ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના નિયામક ડૉ. વૈભવ ભટ્ટે પરિષદના ઉદ્દેશો અને આગામી બે દિવસ દરમિયાન યોજાનારી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે તેમણે આભારવિધિ વ્યક્ત કરી હતી.

