ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઘરેલુ T20 ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતા એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે T20 ફોર્મેટમાં મુંબઈ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સૌથી વધુ રન બનાવવાના મામલે આદિત્ય તારે અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. સૂર્યકુમારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વર્તમાન સિઝનમાં કેરળ સામે રમતા આ સિદ્ધિ મેળવી હતી.
તેની ઇનિંગ્સના કારણે સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં મુંબઈ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આદિત્ય તારેને પાછળ છોડી દીધો, જેમના 1713 રન છે. શ્રેયસ અય્યર (1,706) અને અજિંક્ય રહાણે (1,592) જેવા ખેલાડીઓ પણ સૂર્યકુમારથી પાછળ છે. આ રેકોર્ડ એટલા માટે પણ ખાસ છે કારણ કે ઘણા વર્ષો સુધી મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરનાર અનુભવી રોહિત શર્મા પણ મુંબઈના ડોમેસ્ટિક T20 રેકોર્ડમાં તેનાથી પાછળ રહી ગયો છે. સૂર્યકુમાર યાદવે 71 મેચમાં 1720થી વધુ રન બનાવ્યા છે. તેની 71 મેચોમાં 145.38ની મજબૂત સ્ટ્રાઈક રેટ અને 33.01ની એવરેજ છે, જેમાં 9 અડધી સદી પણ સામેલ છે.
આયુષ મ્હાત્રે (03)ના વહેલા આઉટ થયા બાદ મુંબઈએ અજિંક્ય રહાણે (32) અને સરફરાઝ ખાન (52) વચ્ચે બીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 12મી ઓવરમાં મુંબઈનો સ્કોર ત્રણ વિકેટે 99 રન હતો અને તેઓ આરામથી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ 18મી ઓવરમાં આસિફે (25 રનમાં પાંચ વિકેટ) મેચનો માર્ગ બદલી નાખ્યો. તેણે એક જ ઓવરમાં સાઈરાજ પાટીલ (13), સૂર્યકુમાર (32) અને શાર્દુલ (0)ની વિકેટ લઈને સ્કોરને સાત વિકેટે 149 રન સુધી પહોંચાડ્યો હતો. આસિફે છેલ્લી ઓવરમાં શમ્સ મુલાની અને હાર્દિક તામોરને આઉટ કરીને મુંબઈની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. બત્રીસ વર્ષીય આસિફે આ સિઝનમાં લખનૌની પીચ પર ઘણી સફળતા મેળવી છે, મુશ્તાક ટ્રોફીની ચાર મેચમાં તેણે અત્યાર સુધીમાં 13 વિકેટ ઝડપી છે.
મુંબઈને આ T20 ટૂર્નામેન્ટમાં પાંચ મેચમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમ છતાં ટીમ 16 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર છે. તેની ત્રીજી જીત સાથે, કેરળ 12 પોઈન્ટ સાથે પાંચ ટીમોના આ પૂલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે આંધ્ર પણ 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

