પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ શુક્રવારે હચમચી ઉઠ્યું હતું. શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 15 લોકો માર્યા ગયા છે અને 80 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ હુમલો ઈસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં સ્થિત ઈમામબારગાહમાં થયો હતો. દરમિયાન ઈસ્લામાબાદ પોલીસનું કહેવું છે કે આ હુમલામાં કેટલાક વિદેશી આતંકવાદી સામેલ છે. આ સિવાય દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આતંકી હુમલો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી તેમના તરફથી આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.
ઈસ્લામાબાદની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજો હુમલો છે. થોડા સમય પહેલા ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનમાં આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ પણ પાકિસ્તાનની મુલાકાતે છે. તેઓ ગુરુવારે જ બે દિવસની મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ હુમલો એવા સમયે થયો જ્યારે સ્થળ પર હાજર લોકો શુક્રવારની નમાજ પઢવામાં વ્યસ્ત હતા.
આ હુમલાને શિયાઓની ટાર્ગેટ કિલિંગ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ ઉપરાંત શિયા અને અહમદિયા સંપ્રદાયના લોકો પણ હુમલાનો શિકાર બન્યા છે. ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તા તાકી જવાદે કહ્યું કે આ વિસ્ફોટ કોણે અને કેવી રીતે કર્યો તે કહેવું વહેલું છે.
હુમલાખોરને ગેટ પર રોકવામાં આવ્યો હતો અને તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી – સૂત્રો
તે આત્મઘાતી હુમલો હતો કે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે હાલ સ્પષ્ટ કંઈ કહી શકાય તેમ નથી. જોકે, કેટલાક સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. સૂત્રોએ જણાવ્યું કે હુમલાખોરને ગેટ પર જ અટકાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે ત્યાં જ પોતાની જાતને ઉડાવી દીધી હતી. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. હાલમાં માત્ર રાહત કર્મચારીઓને જ ત્યાં જવાની છૂટ છે.
પાકિસ્તાને કહ્યું- ઓપરેશનથી ગુસ્સે ભરાયેલા તાલિબાન, 24 આતંકવાદીઓ માર્યા ગયા છે
પાકિસ્તાની સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પાકિસ્તાને 24 આતંકીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. સ્થળ પર હાજર લોકોને ટાંકીને જિયો ન્યૂઝનું કહેવું છે કે હુમલાખોર પહેલા ફાયરિંગ કરીને આગળ વધ્યો હતો. તેને ગેટ પર રોકવામાં આવ્યો અને આ દરમિયાન તેણે પોતાની જાતને ઉડાવી દીધી. મુખ્ય દરવાજો મસ્જિદથી લગભગ 30 મીટર દૂર હતો. જ્યારે તેને ત્યાં રોકવામાં આવ્યો ત્યારે તે લગભગ 20 મીટર સુધી અંદર દોડ્યો હતો. ત્યાં જ તેણે પોતાની જાતને ઉડાવી દીધી. જો હુમલાખોર અંદર પહોંચી ગયો હોત તો મૃત્યુઆંક વધુ વધી શક્યો હોત. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં બનેલા મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. અનેક ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી.

