ઈરાન યુદ્ધ અંગે અમેરિકા ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લઈ શકે છે. એવા સમાચાર છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. ખાસ વાત એ છે કે આ સંબોધન એવા સમયે થવા જઈ રહ્યું છે જ્યારે ટ્રમ્પે થોડા અઠવાડિયામાં ઈરાનમાંથી બહાર નીકળવાની વાત કરી છે. સાથે જ હજારો મરીન તૈનાત હોવાની પણ માહિતી છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે લખ્યું, ‘કાલે રાત્રે 9 વાગ્યે (ET), રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર મહત્વપૂર્ણ અપડેટ આપવા માટે રાષ્ટ્રને સંબોધિત કરશે.’ જોકે, તેમણે એ સ્પષ્ટતા કરી નથી કે અમેરિકા હવે ઈરાન યુદ્ધને ખતમ કરવાની તૈયારી કરી રહ્યું છે કે પછી સંઘર્ષને વધુ તીવ્ર બનાવવા જઈ રહ્યું છે.
મૂંઝવણમાં અમેરિકનો
રણ યુદ્ધમાં મદદ માંગવાથી લઈને નાટો સહયોગીઓની જરૂર નથી તેવી જાહેરાત કરવા, તેહરાનના ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાની ધમકી આપવા અને પછી આવા હુમલાઓ લગભગ રાતોરાત મોકૂફ રાખવાથી પ્રમુખ ટ્રમ્પના બદલાતા વલણથી અમેરિકનો મૂંઝવણમાં છે. ઈરાન યુદ્ધ પર સતત બદલાતા વલણને કારણે ટ્રમ્પને સોશિયલ મીડિયા પર પણ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
‘પ્યુ રિસર્ચ’ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે લગભગ દસમાંથી છ એટલે કે 61 ટકા અમેરિકનો ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પના વલણથી અસંમત છે. સર્વેમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે 37 ટકા લોકો યુદ્ધના પક્ષમાં હતા.
ટ્રમ્પ ઈરાનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે
જ્યારે ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં ઈંધણની વધતી કિંમતો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, ‘મારે માત્ર ઈરાનમાંથી બહાર નીકળવાનું છે અને અમે તે ખૂબ જ ઝડપથી કરવા જઈ રહ્યા છીએ અને કિંમતોમાં ભારે ઘટાડો થશે.’ તેણે કહ્યું, ‘અમે કામ પૂરું કરી રહ્યા છીએ અને મને લાગે છે કે આ કામ પૂરું કરવામાં હજુ 2 અઠવાડિયા કે થોડા દિવસો લાગશે.’

