ઊંઝા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય તુલસી વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય તુલસી વિવાહ મંદિરના ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમ દાસજી અને સુજનેશ સ્વામીની પ્રેરણાથી ઊંઝાના બ્રાહ્મણ સ્ટ્રીટ વિસ્તારમાં નૂતન સ્વામિનારાયણ મંદિરના સ્થળે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કૃષ્ણ પક્ષના યજમાન પટેલ કુસુમબેન જીણાભાઈ પરિવાર અને તુલસીજી પક્ષના યજમાન પટેલ સુરેખાબેન દિનેશભાઈ પરિવાર હતો. જેમાં પટેલ દિનેશભાઈની જગ્યાથી શોભાયાત્રા શરૂ થઈ નૂતન સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી. દરેક હરિભક્ત ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં દર્શન અને મહાપ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઘનશ્યામ મહિલા મંડળ, બહેનો મંદિર (ગંગાજમના બિલ્ડીંગ) ઊંઝા દ્વારા કરવામાં આવ્યું હતું.