શહેરના વસ્ત્રાલમાં મોડી રાત્રે બે અકસ્માત સર્જાયા હતા. પ્રથમ બનાવમાં પુત્રી સાથે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને તેની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જ્યારે અન્ય એક ઘટનામાં એક કાર મેટ્રો ટ્રેનના બ્રિજના પિલર સાથે અથડાઈને પલટી ગઈ હતી. પોલીસે બંને બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં વસ્ત્રાલના ગજાનંદ 189માં રહેતા રેખાબેન પંચાલ તેમની પુત્રી સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ડ્રાઇવરે બંનેને ટક્કર મારતાં પંચાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પુત્રીને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરાર ચાલકને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે.
નજીકમાં રહેતા મૃતક રેખાબેન પંચાલને કારણે સોસાયટીના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માત સર્જી ફરાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બીજો અકસ્માત વસ્ત્રાલ વિસ્તારમાં થયો હતો. જેમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનની નીચે પુરપાટ ઝડપે આવી રહેલી કાર મેટ્રો સ્ટેશનના થાંભલા સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર સહિત અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારની સ્પીડ કેટલી હતી, અંદર બેઠેલા લોકો દારૂના નશામાં હતા કે કેમ તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ મોડી રાત્રે બનેલા બે બનાવને પગલે ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.