અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પૂરો થતાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ પૂરો થવાના કારણે કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આ બંને કિસ્સામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાંથી વિરોધ થયો છે. એવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હવે વિદ્યાપીઠમાં ગાંધી યુગનો અંત આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા બાદ આચાર્ય દેવવ્રત વિદ્યાપીઠ પહોંચ્યા હતા અને સ્વચ્છતાની સમસ્યા અંગે ફરિયાદ કરતા પોતે જ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. આજે વિદ્યાપીઠની કેન્ટીનમાં પણ ગંદકી જોવા મળી હતી. કેન્ટીન બંધ હોવાને કારણે સફાઈ થતી નથી. કેન્ટીન પાસે પણ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. કેન્ટીનની અંદર અને આસપાસ 100 મીટરના અંતરે બધે કચરો જોવા મળ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠની કેન્ટીન છેલ્લા 20 દિવસથી બંધ છે. કેન્ટીનને બહારથી તાળું મારી દેવામાં આવ્યું છે અને અંદરના રૂમમાં ટેબલ અને ખુરશીઓ રાખવામાં આવી છે. જે જગ્યાએ વિદ્યાર્થીઓ બહારગામ જતા હતા અને જ્યાં વિદ્યાર્થીઓ બેસતા હતા તે જગ્યા ખાલી પડી છે.
આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તેમના ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 50થી વધુ કર્મચારીઓને નોટિસ આપીને બિલ્ડિંગ ખાલી કરવા જણાવાયું છે. 2007થી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વિદ્યાપીઠમાં ક્વાર્ટર આપવામાં આવ્યા હતા. હવે જ્યારે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેમને બિલ્ડિંગ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્મચારીઓએ બિલ્ડિંગ ખાલી કરવા સામે વિરોધ પણ કર્યો છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું હતું કે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ પૂરો થવાને કારણે તેને ખાલી કરવામાં આવી છે. નવો કોન્ટ્રાક્ટ આપીને કેન્ટીન ફરી શરૂ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મકાનો અપાયા હતા. પરંતુ કોન્ટ્રાક્ટ પૂરો થવાને કારણે બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે. નવી જાહેરાત આપીને ભરતી કરવામાં આવશે અને 11 મહિના માટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. જેમાં જૂના કર્મચારીઓ પણ અરજી કરી શકશે.