છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે
જૂનાગઢઃ ગુજરાતના જૂનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. જૂનાગઢના દાતાર રોડ પર કડિયાવાડ પાસે આ અકસ્માત થયો હતો, જ્યાં બે માળની ઇમારત ધરાશાયી થતાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. બિલ્ડીંગ શા માટે ધરાશાયી થઈ તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં સતત વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારો પૈકીના એક દાતાર રોડ પર કડિયાવાડ પાસે આ અકસ્માત થયો હતો. આ ઈમારત જૂની હોવાનું કહેવાય છે.
બિલ્ડિંગના કાટમાળમાં ઘણા લોકો દટાયા હોવાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. આ સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘટનાસ્થળના ફૂટેજમાં લોકો કાટમાળ સાફ કરતા અને તેમાં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રમાં સતત મુશળધાર વરસાદને કારણે અમરેલી સહિત જૂનાગઢ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સર્વિસિસ (INCOIS) એ માછીમારોને ચેતવણી આપી છે કે તેઓ 26 જુલાઈ સુધી ગુજરાતના દરિયાકાંઠે દરિયામાં ન જાય. IMDની ચેતવણી ખાસ કરીને કચ્છના જાળથી સૌરાષ્ટ્રના દીવ સુધીના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે છે.