પાલનપુરના ચિત્રાસણી હાઇવે પર અજાણ્યા વાહને બાઇક સવારને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. એક પછી એક લોકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. પાલનપુર-આબુ હાઇવે પર ચિત્રાસણી પાસે આજે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. બાઇક ચાલક રાજપુરિયાથી ચિત્રાસણી તરફ ઘરના કામ અર્થે નેશનલ હાઇવે પર જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને તેને ટક્કર મારતાં બાઇક ચાલક રોડ પર પડી ગયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આથી પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બે દિવસ પહેલા ગંગાસાગર પાટીયા પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકોની ચીસો ગુંજી રહી હતી. અવારનવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પોલીસ અને આરટીઓ, એલ એન્ડ ટી વિભાગે બેઠક બોલાવી અકસ્માતો અટકાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, વાહનચાલકોની બેદરકારીને કારણે કેટલાક લોકોના જીવ પણ જાય છે.