રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરત જિલ્લાના વતની અને શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.
કલ્પેશ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચર કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે સાંજે કૉલેજમાંથી બહાર નીકળતી વખતે છાતીમાં દુખાવો શરૂ થયો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કલ્પેશે રસીના ત્રણ ડોઝ લીધા હોવાનું જાણવા મળે છે.
કાલાવડ રોડ પર આવેલી વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા મૂળ બારડોલીના અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહેતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતાં તેણે પ્રથમ સોડા પીધો હતો. બાદમાં તેણે મિત્રને ફોન કરીને હોસ્પિટલ જવાની જાણ કરી હતી. જે બાદ મિત્ર તેને 108 મારફતે હોસ્પિટલ લઈ ગયો. જો કે, તે ભાંગી પડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કોલેજ મેનેજમેન્ટ અને તેના પરિવારને કરવામાં આવી હતી.
કોલેજના પ્રિન્સિપાલ દેવાંગ પારેખે જણાવ્યું હતું કે, કલ્પેશ પ્રજાપતિ છેલ્લા ચાર વર્ષથી અમારી કોલેજમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતો હતો અને હવે તેના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેણે સોડા પીવાનું શરૂ કર્યું કારણ કે તેને એસિડિટી જેવી સમસ્યા થઈ રહી હતી. બાદમાં અચાનક છાતીમાં દુખાવો વધી જતાં તેણે જાતે જ તેના મિત્રને ફોન કરીને હોસ્પિટલ જવા માટે મદદ માંગી હતી. 108 મારફત તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હોવાનું અમે દુ:ખ વ્યક્ત કરી રહ્યા છીએ.
કલ્પેશ એક સાદા પરિવારમાંથી હતો. તેમના પરિવારમાં તેમની એક મોટી બહેન પણ છે. યુવાન પુત્રની ખોટથી પરિવારમાં શોકનું વાતાવરણ છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ સહિત રાજ્ય અને દેશમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ હાર્ટ એટેકની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને કોરોના પછી હાર્ટ એટેકની વધતી ઘટનાઓ પર સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર ચિંતિત છે અને ICMR દ્વારા સંશોધન શરૂ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ પછી વધુ નિર્ણયો જાહેર કરવામાં આવશે.