જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની મુખ્ય વિશેષતા છે અને આગામી તારીખે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળો માણવા આવે છે. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર જાહેર મેળા સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ સહિત કુલ 19 સમિતિઓ તૈયાર કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટની આગવી વિશેષતા એવા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. રેસકોર્સ મેદાન ખાતે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન 5 દિવસીય જાહેર મેળાનું આયોજન કરવામાં આવશે, જે સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં વિવિધ જાહેર મેળા સમિતિના ચેરમેન અને સહ-અધ્યક્ષોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો અને હરાજી સમિતિ, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક અને પાર્કિંગ નિયમન સમિતિ સહિત કુલ 19 સમિતિઓની રૂપરેખા તૈયાર કરી હતી.
આ બેઠકમાં કલેકટરે સમિતિઓની કામગીરી અંગે ચર્ચા કરી કડક આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. તેમજ નાગરિકોની સુવિધા માટે C.C.T.V. કેમેરા, ફાયર સેફ્ટી, આરોગ્ય સુવિધાઓ, કંટ્રોલ રૂમ અને ઈમરજન્સી હેલ્પલાઈન, સાઈન બોર્ડ વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે ચોમાસા દરમિયાન ખાણી-પીણીની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રમાં સૌથી મોટો છે. લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટવાના છે. જેથી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. લોકમેળામાં પોલીસની હાજરીની સાથે ખાનગી સુરક્ષા જવાનો પણ તૈનાત રહેશે. જેનું મોનીટરીંગ પોલીસ કંટ્રોલ રૂમ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. લોકમેળામાં ખાદ્યપદાર્થો અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને તે લૂંટના મેળામાં ફેરવાય નહીં તેની પણ ખાસ કાળજી રાખવામાં આવશે.