ત્રણ પૈકી બે યુવકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા, મૃતક યુવકની લાશ મળી આવી હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર પાછળ નદીમાં ન્હાવા જતા ત્રણ યુવાનો ડૂબી ગયા હતા. જેમાં એક યુવકનું મોત થયું છે. ગુમ થયેલ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે.
કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આવેલ ગલતેશ્વર મંદિર પાછળ તાપી નદીમાં ન્હાવા જતા સુરતના ત્રણ યુવાનો ડૂબી ગયા હતા. દરમિયાન સ્થાનિક માછીમારોએ ત્રણ પૈકી બે યુવકોને બચાવી લીધા હતા, જ્યારે સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર રહેતા શાકભાજીના વેપારી રમાકાંતભાઈ રાધેશ્યામ દુબેના 18 વર્ષીય પુત્ર પિયુષનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ,
ગત 21મી જૂને પિયુષ તેના મિત્રો ચંદ્રેશ, અભિષેક, નીતીશ સાથે કામરેજના ગલતેશ્વર મંદિરના સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયો હતો. જોકે, સ્વિમિંગ પૂલ બંધ હોવાથી ચારેય મિત્રો મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા.
જ્યાં નદીના ઉંડા પાણીમાં ત્રણેય પિયુષ, અભિષેક અને ચંદ્રેશ ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક માછીમારો ત્યાં આવી પહોંચ્યા હતા અને ચંદ્રેશ અને અભિષેકને બચાવ્યા હતા જ્યારે પીયૂષ ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો.