(GNS),08
આગાહીકાર અંબાલાલ પટેલની શિયાળાની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરી હતી કે દેશમાં 7 થી 10 ઓક્ટોબર સુધી પ્રથમ હિમવર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટી રહ્યું છે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ પછી 14 ઓક્ટોબરે બીજો બરફવર્ષા થશે. 17-19 ઓક્ટોબરે ઉત્તરીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. જેના કારણે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ભાગોમાં વરસાદ પડશે. તો નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવરાત્રિમાં 17મી ઓક્ટોબરે વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 18-19 ઓક્ટોબરે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરતા તેમણે કહ્યું કે 12 ઓક્ટોબરે અરબી સમુદ્રમાં હાઈ પ્રેશર સર્જાશે. બંગાળમાં 20 ઓક્ટોબર પછી ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશોમાંથી આવતા ચક્રવાતના પરિણામે બંગાળની ખાડીમાં ઉથલપાથલ જોવા મળશે. બંગાળની ખાડીમાં 16-24 નવેમ્બરના રોજ ચક્રવાતની શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ચીન તરફ ચક્રવાત સર્જાયો છે જે તાઈવાનના ભાગથી બંગાળની ખાડીમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરી વિક્ષેપ સર્જી શકે છે. તો 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત છે. આ સાથે અરબી સમુદ્રમાં સિસ્ટમ રચાય તેવી શક્યતા છે. આ સિસ્ટમ 10 થી 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં ફરી સક્રિય થઈ શકે છે અને મજબૂત બની શકે છે. હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે, ચોમાસાની વિદાય સાથે આજે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. ચાલુ મહિનો ઓક્ટોબર અને નવેમ્બર સંક્રમણના મહિના હોવાથી ઠંડી અને ગરમીનું વાતાવરણ રહેશે. બપોરે ગરમી હોય છે જ્યારે સવારે અને સાંજે ઠંડી હોય છે. જોકે હજુ ઠંડી શરૂ થઈ નથી. આગામી 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી છે. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. અરબી સમુદ્રની સરહદેથી ફૂંકાતા ભેજવાળા પવનને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી 5 દિવસમાં વરસાદી સિસ્ટમ સર્જાય તેવી કોઈ શક્યતા નથી. હાલમાં ગરમી અને ઠંડીનો આકરો માહોલ ચાલી રહ્યો છે. વર્તમાન ઋતુને ચોમાસા પછીના સંક્રમણ મહિનાઓ કહેવામાં આવે છે.