ગાંધીનગર.
ભારતીય રાજનીતિમાં ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે હંમેશા ચૂંટણી માટે તૈયાર રહે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપની નજર લોકસભાની ચૂંટણી પર છે. લોકસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યારે ભાજપ હવે એક્શન મોડમાં છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવા માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ગુજરાત ભાજપ દ્વારા 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. તેના સભ્યો આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને પાર્ટીની સ્થિતિનો ચિતાર લેશે અને પાર્ટીના કાર્યકરોને સક્રિય કરશે.
પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ના સંચાલન અને પ્રવાસ માટે રચાયેલી સમિતિમાં પાંચ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પક્ષના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, સુરત શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ, જૂનાગઢ શહેર સંગઠન પ્રભારી ચંદ્રકાંત દવે, પૂર્વ વડોદરા શહેર ભાજપ મહામંત્રી રાકેશ પટેલ અને સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલા નાથુભાઈ સરવૈયાનો સમાવેશ થાય છે.
આ 5 સભ્યોની કમિટી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લા, તાલુકા અને શહેરોની મુલાકાત લેશે, જ્યાં તેઓ પક્ષની સ્થિતિનો ચિતાર મેળવશે અને પક્ષના કાર્યકરોને સક્રિય કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોના સંગઠનાત્મક માળખામાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે 5 સભ્યોની કમિટીના રિપોર્ટના આધારે આગામી દિવસોમાં રાજ્યના સંગઠન માળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના છે.