અમદાવાદ : ગુજરાત સરકારે શનિવારે રાજ્યમાંથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા દરેક યાત્રિકો માટે નાણાકીય સહાય 23,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલય દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે.
વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર, ભગવાન શિવનું ધામ માનવામાં આવતા કૈલાશ માનસરોવરનું હિન્દુઓ માટે ઘણું મહત્વ છે. જૈનો અને બૌદ્ધો માટે પણ તેનું ધાર્મિક મહત્વ છે. આ યાત્રા માન્ય ભારતીય પાસપોર્ટ ધરાવતા તમામ પાત્ર ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓ દર વર્ષે મોટી સંખ્યામાં ચારધામની યાત્રાએ જાય છે. ત્યારે હવે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતીઓની સંખ્યા વધી છે. ત્યારે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં ગુજરાતીઓ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં ગુજરાતી યાત્રીઓને સરકાર હવે 50 હજાર રૂપિયાની સહાય આપશે.