તાજેતરમાં ATSએ અમદાવાદમાંથી અલ-કાયદા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી હતી. હવે ATSએ રાજકોટમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ATSએ શહેરના સોની બજારમાં અલકાયદા સાથે સંકળાયેલા અને કારીગર તરીકે કામ કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ એટીએસને બાતમી મળી હતી કે રાજકોટના સોની માર્કેટમાં છેલ્લા છ માસથી કામ કરતા ત્રણ લોકો આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે. જેના આધારે શહેરના સોની માર્કેટમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવી આશંકા છે કે આ લોકો મુસ્લિમ કારીગરોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરી રહ્યા છે.
ATSના ગુપ્ત ઓપરેશનમાં આ ત્રણેયને ગુજરાતમાં અલ-કાયદાને પ્રોત્સાહન આપવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા છ માસથી રાજકોટના સોનીબજારમાં કારીગર તરીકે કામ કરતો હતો. ATSએ તેની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતુસ જપ્ત કર્યા છે. આ લોકો પશ્ચિમ બંગાળથી રાજકોટ આવ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ્યા હોવાની પણ શક્યતા છે.
ત્રણેયની ધરપકડ કરતા પહેલા ગુજરાત ATSએ ગુપ્ત તપાસ હાથ ધરી હતી અને ચોક્કસ માહિતી મળતાં ત્રણેયની ધરપકડ કરીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટના સોની માર્કેટમાં ત્રણ લોકો આતંકી મોડ્યુલ માટે મદદ કરી રહ્યા હતા. આ વ્યક્તિઓને ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલ-કાયદાના સ્લીપર સેલને મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેણે હવાલા મારફતે પણ કેટલાક વ્યવહારો કર્યા હોવાની માહિતી ગુજરાત ATSને મળી છે. તેઓ ક્યાં આતંકવાદી પ્રવૃતિ કરવા કે કોઈને મદદ કરવા જતા હતા તે અંગે ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે અને આરોપીઓને ક્યાંથી મદદ મળી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.