અમદાવાદઃ વર્ષ 2012માં અમદાવાદ ખાતે બ્રેઇલ પુસ્તકના વિમોચન ક્રાર્યકમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઇ મોદીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ સમયે પ્રજાવત્સલ તથા સમાજના દરેક વર્ગના વ્યકિતની ચિંતા કરનારા તથા નવી વિચારધારા સાથે કામગીરી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રેઇલ પુસ્તકના સ્થાને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો પુસ્તક બનાવવાનો વિચાર સ્ફુર્યો ! આ વિચાર એ હતો કે, જો બ્રેઇલ પુસ્તકના સ્થાને કોઇપણ પુસ્તકની ઓડીયો આવૃત્તિ બનાવવામાં આવે તો પ્રજ્ઞાચક્ષુઓ માટે વધુ ઉપયોગી બની રહે…. આ ઓડીયો પુસ્તકની કામગીરીમાં જો જેલના કેદીઓને સામેલ કરવામાં આવે તો કેદીઓને વાંચનની સાથે જીવન જીવવાની નવી દિશા પણ મળી શકે….બસ, તત્કાલીન મુખ્યમંત્રીએ આ વિચાર કાર્યક્રમના આયોજકો સાથે વહેંચીને તે દિશામાં કામગીરી કરવા સુચન કર્યું હતું . અંતે વર્ષ 2016માં અમદાવાદના અંધજન મંડળ દ્વારા “પ્રોજેકટ ધ્વનિ” ની શરૂઆત કરવામાં આવી. જે ભારતનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ બની ચુકયો છે. આના પરિણામ સ્વરૂપ છેલ્લા 8 વર્ષમાં સાબરમતી જેલના કેદીઓ 4500 ઓડીયો પુસ્તકો બનાવીને ભારતના પ્રજ્ઞાચક્ષુઓની અનોખી સેવા કરી ચૂકયા છે અને હજુપણ આ સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. કોઇપણ વિચારબીજ કઇ રીતે અનેક લોકોનું કલ્યાણ કરી શકે છે તે આ પ્રોજકટ થકી સાકાર થયું છે. એક સાચા લોકસેવક સમાજના દરેકવર્ગના કલ્યાણ માટે વિચારતા હોય તો સમાજ એક સાથે મળીને કઇ રીતે વધુ કલ્યાણકારી કામગીરી કરી શકે છે તે “પ્રોજકેટ ધ્વનિ”એ સાબિત કરી બતાવ્યું છે.
કચ્છની પાલારા જેલ ખાતે યોજાયેલા એકઝિબિશનમાં “પ્રોજકેટ ધ્વનિ” નું ડેમોસ્ટ્રેશન કરતા અંધજન મંડળ અમદાવાદના ડેપ્યુટી ડાયરેકટર ભરતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા અમે સાબરમતી જેલના કેદીઓને બ્રેઇલ લિપીની તાલીમ આપીને તેઓની પાસેથી બ્રેઇલ પુસ્તકો તૈયાર કરાવતા હતા. પરંતુ સમય જતાં તે પ્રોજકેટ બંધ થઇ ગયો હતો. વર્ષ 2012માં જયારે બ્રેઇલ પુસ્તકના વિમોચન સમયે તત્કાલીન સીએમ તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્ધાયા હતા. ત્યારે તેમણે સંસ્થાના જનરલ સેક્રેટરી ડો.ભૂષણ પુનામીને મળીને બ્રેઇલ પુસ્તકો બનાવવામાં, પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા, રાખવા તથા સંગ્રહ કરવામાં પડતી સમસ્યાને દુર કરવા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો બુક કેમ ન બનાવી શકાય ? તે વિશે વિચાર કરવા જણાવ્યું હતું. આ કામગીરીમાં જેલના કેદીઓને જોડવામાં આવે તો એક સાથે સમાજના બંને વર્ગ માટે જ્ઞાનવર્ધક તથા જીવનને પ્રેરણા આપતી કામગીરી થઇ શકે તેવું ખાસ સુચન કર્યું હતું. જે સુચનને અમે વધાવી લઇને તમામ રીસર્ચ બાદ વર્ષ તા. 2 ઓકટોબર 2016ના રોજ અંધજન મંડળ અમદાવાદ દ્વારા સાબરમતી સેન્ટ્રલ જેલની જે બેરેકમાં થોડો સમય માટે ગાંધીજીએ જેલવાસ ભોગવ્યો હતો તે કોટડીથી આ “પ્રોજેકટ ધ્વનિ” ની શરૂઆત કરવામાં આવી..આજે પ્રજ્ઞાચક્ષુ તથા જેલના કેદીઓને લઇને ચાલતો આ પ્રોજકેટ ભારતમાં આ પ્રકારનો પ્રથમ અનોખો પ્રોજકેટ છે.